અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં નિયમિત સફાઈ અને કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ શહેરીજનો અને વેપારીઓ સફાઈ કાર્ય થઈ ગયા બાદ પણ કચરો જાહેરમાં ફેંકી ગંદકીનું સામ્રાજ્ય કરતા હોવાના કારણે આવા લોકો સામે પાલિકા દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથોસાથ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનાર કે ઉપયોગ કરનારને પણ દંડ ફટકારવામાં આવશે. એક તરફ અમરેલી નગરપાલિકા દ્વારા દરરોજ સવારે સફાઈ અને કચરો ઉપાડવાનું કામ નિયમિત કરવામાં આવે છે પરંતુ સફાઈ કામ અને કચરો ઉપાડી લીધા બાદ સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા કચરો સરેઆમ જાહેરમાં ફેંકવામાં આવે છે. આથી તમામ વેપારીઓ અને શહેરીજનોને તાકીદ કરવામાં આવે છે, કે પોતાની દુકાનમાં અને ઘરમાં ડસ્ટબીન ફરજીયાત રાખે અને કચરો જાહેરમાં ફેંકવાના બદલે ડોર ટુ ડોર કલેક્શન વાહનમાં જ નાખે. કોઈપણ વ્યક્તિ કચરો જાહેરમાં ફેંકશે તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં આવેલા રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના ધંધાર્થીઓ, હોટેલ ચલાવનારા તેમજ અન્ય તમામ ધંધાર્થીઓએ પોતાના ધંધાના સ્થળ ઉપર ડસ્ટબીન રાખવું અને કચરો કચરા વાહનમાં જ નાખવો. ઘણા ધંધાર્થીઓ જાહેર રોડ ઉપર કચરો ફેંકી ખુલ્લેઆમ ગંદકી કરી રહેલ છે. આવા તત્વો સામે હવે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં કોઈની પણ શેહ શરમ રાખવામાં આવશે નહીં. દંડ થયેલ ઇસમોના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે. સરકારની સૂચના મુજબ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનાર કે ઉપયોગ કરનાર સામે પણ દંડનાત્મક કાર્યવાહી સાથે ફરિયાદ પણ કરવામાં આવશે. શહેરીજનોએ નિરોગી અને સ્વસ્થ રહેવા પ્રથમ પોતાનું આંગણું સ્વચ્છ રાખી નૈતિક ફરજમાં જાગૃત બનવું પડશે. કચરો જાહેરમાં ફેંકવાના બદલે ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનમાં જ નાખવા માટેની જાગૃતિ કેળવવી જરૂરી છે.