અમરેલી સ્થિત કોલેજ ઓફ ડેરી સાયન્સ(શેડુભાર) ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષા સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત અમરેલી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યુ કે, રાજ્યની તમામ સહકારી સંસ્થાઓને વધુમાં વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય છે, જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ સહકારી બેંક સાથે જોડાય તે માટે સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે. સહકારી મંડળીના કોઈ સભાસદ મૃત્યુ પામે તો તેમનું નામ રદ કરવું જરુરી છે. મંત્રીએ એકના એક સભાસદો એકથી વધુ મંડળીઓમાં સભાસદ તરીકે સક્રિય હોય તો તેમની યાદી બનાવવા માટે સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. સાથે નવી મંડળીઓની નોંધણી માટેની અરજી સહકાર વિભાગને મોકલી આપવા જણાવ્યુ હતુ. સમગ્ર જિલ્લામાં ૪૦૪ સેવા સહકારી મંડળીઓ નોંધાઇ છે. બેંક સાથે સંયોજિત સેવા સહકારી મંડળીઓની સંખ્યા ૩૯૫ છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ૧૧૦ દૂધ મંડળીઓ નોંધાયેલ છે, સભાસદોની સંખ્યા ૧૦,૭૯૦ છે. જિલ્લામાં ૧૧ એપીએમસી છે. પાયલોટ પ્રોજક્ટ અંતર્ગત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિ. દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે સરાહનીય છે. જિલ્લાઓમાં એટીએમ, માઈક્રો એટીએમ, રુપે કિસાન ક્રેડિટ કાર્ડ અને રુપે ડેબિડ કાર્ડ માટેની જરુરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવે. બેંક મિત્ર તરીકે પેક્સ, દૂધ મંડળીઓની નિમણૂક કરીને ગ્રામીણ લોકોને પાયાની બેંકિંગ સુવિધા,સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો એકશન પ્લાન આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ છે. બેઠકમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કહ્યુ કે, સહકારી ક્ષેત્રની મજબૂતી દેશની પ્રગતિમાં વિશેષ યોગદાન આપશે સાથે વિકસિત ભારતના સપનાને સાકાર બનાવવા માટે મદદ મળશે. સૌએ સાથે મળીને સહિયારા સહકારથી જિલ્લાના સહકારી ક્ષેત્રને વધુમાં વધુ મજબુત બનાવવા માટે સતત પ્રયાસો કરવા જરુરી છે. સહકારથી સમૃદ્ધિ તમામ કો-ઓપરેટિવ્ઝ વચ્ચે સહિયારો સહકાર અંતર્ગત જિલ્લાકક્ષા બેઠકમાં આભારવિધિ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ કરી હતી. બેઠકમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, જે.વી.કાકડીયા, હિરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવીયા, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિત જિલ્લાના સ્થાનિક સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.