સુરતમાં ગટર દુર્ઘટનામાં ૨ વર્ષીય બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરમાં ૨ વર્ષનું બાળક પડી ગયું હતું. બાળકની શોધખોળ માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે બાળકને શોધ્યો હતો. પરંતુ બાળકનું મૃત્યું થયું. આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ જાવા મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ૫ ફેબ્રુઆરીના સાંજના ૫.૩૦ની આસપાસ બે વર્ષનું બાળક ૩ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી. છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતાં મોડીરાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરાઈ હતી. આજે (૬ ફેબ્રુઆરી) ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ૧૬ કલાકથી વધુ સમય થઈ ગયો, પણ તેનો હજુ કોઈ પત્તો લાગ્યો નહિ. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો. વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢ્યું. સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. ૨) માતા સાથે સાંજે ૫.૩૦ વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. એ દરમિયાન ૧૨૦ ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું.
સ્થાનિકોએ પાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોની માંગ છે કે આવા બનાવો વારંવાર બનતા હોવાથી પાલિકા દ્વારા ખુલ્લા ગટરોને તાત્કાલિક બંધ કરવામાં આવે અને સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવે.આ ઘટનાએ ફરી એકવાર શહેરોમાં ખુલ્લી ગટરોની સમસ્યાને ઉજાગર કરી છે. પાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે તો આવા બનાવો ભવિષ્યમાં પણ બનતા રહેશે.