રાજ્યમાં પહેલીવાર વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અશાંતધારાને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. વડોદરાના નાયબ કલેક્ટર વીકે સાંબડે જણાવ્યું કે, વડોદરામાં રોજ હજારો લોકો મિલકત ખરીદ વેચાણ કરતા હોય છે. સરકારે કેટલાક વિસ્તારમાં અશાંતધારો કાયદો અમલમાં મૂક્યો છે. જેથી આવા લોકોને દસ્તાવેજ માટે અશાંતધારાની મંજૂરી મેળવવી જરૂરી હોય છે. વર્ષ ૨૦૨૪ માં વડોદરામાં નાયબ કલેક્ટર સીટીની કચેરીએ સમાન ધર્મના ૨૦,૦૦૦ નાગરિકોએ અશાંતધારાની અરજી કરી હતી. દર મહિને ૧૮૦૦ થી ૨૦૦૦ નાગરિકોએ જનસેવા કેન્દ્રમાં અરજી કરી હતી. જેમાં અરજદારોને અરજી કર્યા બાદ અશાંતધારાનો હુકમ મંજૂર થયો કે નહીં તેની ચકાસણી કરવા સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડતા હતા. પણ હવે એસડીએમ સીટી દ્વારા એક પોર્ટલ બનાવી ક્યૂઆર કોડ જનરેટ કરવામાં આવ્યો છે. જેમાં અશાંતધારાની અરજી કરનાર નાગરિકોને માત્ર એક જ વાર ૨૦ રૂપિયાની ફી ભરી અરજી કરવાની રહેશે.
આ બાદમાં ૧૦ દિવસમાં ક્યુઆર કોડ સ્કેન કરી ઓનલાઇન અશાંતધારાનો હુકમ તેમને ઘરે બેઠા મોબાઈલ પર મળી જશે. જેથી નાગરિકોને વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે.એસડીએમ સીટી જે અશાંતધારાની અરજી મંજૂર કરશે, તેને તેમના કચેરીથી જ જિલ્લા સબ રજીસ્ટારની ઓફિસોમાં મોકલી આપવામાં આવશે. જેથી અશાંતધારાના હુકમમાં થતી ગેરરીતિ પણ બંધ થઈ જશે. ૧ જાન્યુઆરી ૨૦૨૫થી નવા નિર્ણયની અમલવારી પણ કરી દેવામાં આવી છે.
નર્મદા ભવન જન સેવા કેન્દ્રમાં અશાંતધારાની અરજી કરવા આવતા અરજદારોને જાણકારી મળે તે માટે તમામ જગ્યાએ ક્યુઆર કોડ લગાવી દેવાયા છે. નાગરિકોને નવા નિયમની જાણકારી આપવામાં આવી રહી છે. તંત્રના નિર્ણયને અરજદાર આવકારી રહ્યા છે. જેમાં હવે વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે તેવી વાત પણ કરે છે. અશાંતધારાને લઈ તંત્ર દ્વારા માત્ર સમાન ધર્મના લોકો મહત્વનો નિર્ણય કરાયો છે. જ્યારે અસમાન ધર્મના લોકો માટે જૂની પ્રક્રિયાને યથવાત રાખવામાં આવી છે. અશાંતધારાની અરજી ૯૦ દિવસમાં મંજૂર કે નામંજૂર કરવાનો નિયમ છે, જેમાં સમાન ધર્મના અરજદારોને માત્ર ૧૦ દિવસમાં જ હુકમ આપી દેવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. ત્યારે જા પ્રજાલક્ષી નિર્ણય આખા રાજ્યમાં લાગુ કરાય તો અશાંતધારની અરજી મેળવવામાં નાગરિકોને રાહત મળશે.