ચારધામ તીર્થયાત્રા પર જઈ રહેલા યાત્રા રૂટ પર સ્વાસ્થ્યના કારણોસર શ્રદ્ધાળુઓના મૃત્યુથી રાજય સરકાર ચિંતિત છે આથી ઉત્તરાખંડ સરકારે ૫૦ વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓની આરોગ્ય તપાસ ફરજિયાત બનાવી છે. જણાવી દઈએ કે ૧૦ મેના રોજ ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૨૦ થી વધુ શ્રદ્ધાળુઓ સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર મૃત્યુ પામ્યા છે.
ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુડીએ દેહરાદૂનમાં જણાવ્યું કે આરોગ્ય વિભાગ વિવિધ સ્થળોએ ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓની આરોગ્ય તપાસ કરશે. તેમણે કહ્યું કે આરોગ્યની તપાસ ફરજિયાતપણે કરવામાં આવશે, ખાસ કરીને ૫૦ વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે. રાતુડીએ કહ્યું કે શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે, આરોગ્ય વિભાગ, ‘વિશ ફાઉન્ડેશન’ અને હંસ ફાઉન્ડેશને ‘ઈ-સ્વસ્થ્ય ધામ’ એપ લોન્ચ કરી છે જેના પર તેઓએ તેમનો સ્વાસ્થ્ય ડેટા અપલોડ કરવાનો રહેશે.
રતુડીએ આરોગ્ય અને પર્યટન વિભાગના અધિકારીઓને ચારધામ યાત્રા પર આવતા ભક્તોને નોંધણી દરમિયાન તેમના ‘મેડિકલ હિસ્ટ્રી’ વિશેની માહિતી આપવા માટે જાગૃત કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે જા શ્રદ્ધાળુઓ તેમનો સાચો ‘મેડિકલ હિસ્ટ્રી’ પ્રદાન કરે છે, તો વહીવટીતંત્ર માટે કોઈપણ કટોકટીની સ્થિતિમાં તેમને તબીબી સહાય પૂરી પાડવાનું સરળ બનશે. તેમણે કહ્યું કે આ ઉપરાંત, તબીબી વિભાગ માટે તબીબી સંસાધનોનું વધુ સારી રીતે સંચાલન કરવું પણ સરળ બનશે.
રતુડીએ કહ્યું કે વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને સલામત અને સરળ ચારધામ યાત્રા આપવા માટે પ્રતિબદ્ધ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ચારધામ યાત્રા રૂટ પર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે અત્યાર સુધીમાં ૨૦ થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ઉચ્ચ હિમાલય પ્રદેશમાં ચાર ધામોના સ્થાનને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે હિન્દી અને અંગ્રેજી સહિત ૧૪ ભાષાઓમાં આરોગ્ય સલાહ જારી કરી છે અને ભક્તોને તેનું પાલન કરવા વિનંતી કરી છે.