(એ.આર.એલ),ભાવનગર,તા.૩
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં યુવાન ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓ નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાલીતાણાના ડુંગરપુર ગામમાં રહેતો અફઝલ દીનુભાઇ સમા તેના બે મિત્રો જુનેદ અને આકીબ જુસબભાઇ સમા સાથે પાલિતાણા ખાતે ગારીયાધાર બાયપાસ રોડ પર આવેલ. સદવિચાર હોસ્પટલ પાસે ઉભા હતા ત્યારે અચાનક જ પાલિતાણા સિટીમાં રહેતો સિકંદર પાંચાવાડીયા સહિતના ચાર શખ્સો છરી સહિતના હથિયાર સાથે ધસી આવ્યાં હતા અને તેમણે અફઝલ તેમજ તેના બે મિત્રો પર હુમલો કર્યો હતો.જાહેર માર્ગ પર ત્રણ યુવક પર છરી જેવા ઘાતક હથિયારથી હુમલો થતાં આ બનાવના પગલે દહેશત અને નાસભાગ સર્જાઇ હતી. હુમલાખોરો હુમલો કરી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા તો એક જ કોમના બે જુથ વચ્ચે લોહીયાળ અથડામણ થતાં આ બનાવના કારણે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.આ બનાવ અંગે ડીવાયએસપી મિહીર બારીયાએ જણાવ્યું હતું કે, આ હુમલામાં અફઝલનું મોત થયું છે તો જુનેદ અને આકીબને ઇંજા પહોંચી છે. પ્રાથમિક તપાસ માં આ બનાવ પૈસાની લેતીદેતી બાબતે બન્યો હોવાનું જણાયું છે.પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.