અમરેલી જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ દિવસે ગત તા.૧૪ને રવિવારે ચૂંટણી તંત્રના અધિકારીઓએ વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ત્રણ બીએલઓ ગેરહાજર રહેતા તંત્રના અધિકારીઓએ પંચરોજકામ કરી મતદાર યાદીની અગત્યની કામગીરીમાં ફરજ પર ગેરહાજર રહેવા બાબતનો ખુલાસો રજૂ કરવા નોટિસ આપી હતી. નોંધનીય છે કે, સમગ્ર અમરેલી જિલ્લામાં ગત રવિવારે વર્ગ-૧ના પ અધિકારીઓ ઈઆરઓ તરીકે, વર્ગ-૨ના ૧૨ અધિકારીઓ એઈઆરઓ તરીકે અને વર્ગ-૨ના ૧૮ ખાસ ચૂંટણી ફરજ પરના એડિશનલ એઈઆરઓ તરીકે એમ કુલ ૩૫ જેટલા વર્ગ ૧ અને ૨ના અધિકારીઓ ફરજ પર હાજર રહ્યા હતા. જિલ્લાના ૧૧ તાલુકાઓના કુલ ૮૬૨ સ્થળોએ ઉભા કરવામાં આવેલા ૧૪૧૧ બુથ ઉપર ૧૪૦૦થી વધુ બીએલઓ અને ૧૩૧ સુપરવાઈઝરો મતદાર નોંધણીની પ્રક્રિયામાં સહભાગી થયા હતા.