અમરેલીના લાઠી, રાજકોટના ઉપલેટા અને બોટાદના ગઢડામાં વીજળી પડતાં આજે એક જ દિવસમાં ૭ લોકોનાં દર્દનાક મોત થયા છે. આંબરડીમાં ૫, સેવંત્રામાં ૧ અને પડવદર ગામમાં એકનું મોત થયું છે. જ્યારે છેલ્લા ૭ દિવસમાં ૧૨ લોકોને વીજળી ભરખી ગઈ છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાની ઘટના બની છે. શ્રમિકો પર વીજળી કાળ બનીને ત્રાટકી હતી. આ ઘટનામાં પાંચ શ્રમિકોના મોત થયા છે. શ્રમિકો ખેતરેથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી છે. જી હા…ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતી વેળા અચાનક વીજળી ત્રાટકી છે. વીજળી પડવાની આ ઘટનામાં કુલ ૫ લોકોના મોત થયા છે. ૪ બાળકો સાથે ૧ યુવતીનું વીજળી પડવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના ૫ વ્યક્તિના મોત થયા છે. મહત્વનું છે કે આંબરડી ગામના પરીવાર પર આભ ફાટયું છે. આંબરડી ગામે ખેતરથી પરત ફરી રહ્યા હતા ત્યારે વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનાની માહિતી મળતાં જ મૃતકોને ૧૦૮ વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે વીજળી પડવાથી અન્ય ૩ ઈજાગ્રસ્ત બન્યા છે. ૩ ઈજાગ્રસ્તોને અમરેલી સારવારમાં ખસેડાયા છે. નાના એવા ગામમાં ૫ના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.
મૃતકોના નામ ઃ- ૧ ભારતી બેન સાંથળીયા (ઉ. વ. ૩૫),૨ શિલ્પા સાંથળીયા ((ઉ. વ. ૧૮),૩ રૂપાલી દલસુખભાઈ વણોદિયા (ઉ. વ.૧૮),૪ રિધ્ધિ ભાવેશ સાંથળીયા (ઉ. વ. ૫),૫ રાધે ભાવેશભાઈ સાંથળીયા (ઉ. વ. ૫) સામેલ છે