યુપીમાં ૨૦૨૨ ની શરુઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા અખિલેશની ચૂંટણી ન લડવાની જાહેરાતથી રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. ઘણા રાજકીય નિષ્ણાંતોને લાગી રહ્યું છે કે અખિલેશને હારવાનો ડર હોવાથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.

અખિલેશ યાદવે એમ પણ કહ્યું હતું કે, યુપી ચૂંટણી ૨૦૨૨ માટે તેમની અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) વચ્ચે ગઠબંધનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અમુક બેઠકો અંગે વાતચીત ચાલી રહી છે અખિલેશે કહ્યું કે, “આરએલડી સાથે અમારું જાડાણ મજબૂત થયું છે. તમામ બેઠકો વહેંચવાની છે.” અખિલેશનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે રવિવારે આરએલડીના જયંત ચૌધરીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેના કારણે યુપીમાં ગઠબંધનનું સમીકરણ બદલવાની અટકળો ચાલી રહી હતી.  કાકા શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (પીએસપીએલ) વિધાનસભાની ચૂંટણીમાં સપા સાથે આવી શકે છે? આ સવાલ પર અખિલેશે કહ્યું કે, ‘મને તેની સાથે કોઈ વાંધો નથી. તેમને અને તેમના સાથીઓને યોગ્ય સન્માન આપવામાં આવશે.”

અખિલેશ યાદવ રવિવારે આપેલા નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમાં તેમણે મોહમ્મદ અલી ઝીણાને ગાંધી-નહેરુ અને પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાની ગણાવ્યા હતા. તેમને ભાજપથી ઘેરી લેવામાં આવ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે પટેલ સાથે ઝીણાની તુલનાને શરમજનક ગણાવી હતી અને અખિલેશને માફી માંગવા જણાવ્યું હતું.