જુનિયર પહેલવાન સાગર ધનખર હત્યા કેસમાં દિલ્હી હાઈકોર્ટે કુસ્તીબાજ સુશીલ કુમારને નિયમિત જામીન આપ્યા છે. મે ૨૦૨૧ માં હત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ જુલાઈ ૨૦૨૩ માં તેમને ઘૂંટણની સર્જરી માટે ૭ દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.
સાગર હત્યા કેસમાં દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ મુજબ, ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સાથીઓએ છત્રસાલ સ્ટેડિયમનો દરવાજા અંદરથી બંધ કર્યા પછી, ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેÂમ્પયન સાગર ધનખર અને અન્ય લોકોને ૩૦ થી ૪૦ મિનિટ સુધી લાકડીઓ, હોકી અને બેઝબોલ બેટથી માર માર્યો હતો. ધનખર અને તેના ચાર મિત્રો પર કુમાર અને અન્ય લોકોએ ૪ અને ૫ મે (૨૦૨૧) ની રાત્રે મિલકતના વિવાદને લઈને સ્ટેડિયમમાં હુમલો કર્યો હોવાનો આરોપ છે. સાગરનું પાછળથી ઈજાઓથી મૃત્યુ થયું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સાગર અને તેના મિત્રોનું દિલ્હીના બે અલગ અલગ સ્થળોએથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ દરવાજા અંદરથી બંધ કરી દેવામાં આવ્યા હતા અને સુરક્ષા ગાર્ડ્સને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું. “સ્ટેડિયમમાં, બધા પીડિતોને બધા આરોપીઓ દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો,” પોલીસે તેના ૧,૦૦૦ પાનાના અંતિમ અહેવાલમાં જણાવ્યું હતું. બધા પીડિતોને લગભગ ૩૦ થી ૪૦ મિનિટ સુધી ‘લાકડીઓ’, ‘બેટ’, હોકી સ્ટીક, બેઝબોલ બેટ વગેરેથી મારવામાં આવ્યા.
આ કેસની તપાસમાં જાણવા મળ્યું કે કેવી રીતે બંને કુસ્તીબાજાના લોકો વિવાદિત જમીન ખરીદવા અને વેચવા, કબજા કરવા અને ખંડણી ઉઘરાવવાના રેકેટમાં સામેલ હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંને કુસ્તીબાજાના લોકો ગેંગસ્ટર કાલા જાથેદી અને નીરજ બાવાનિયા સાથે સંકળાયેલા હતા.