૨૪ કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી ૫ દિવસ દરમિયાન ૨થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં આ ઘટાડાની સાથે લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા ગરમીથી આંશિક રાહત મળે એવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૫થી ૫૦ કિમી ઝડપે પવનો ફુંકાવાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ૪૮ કલાક દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સીયસના ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ છે કે, હાલમાં ગુજરાત રાજ્ય પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા ગત સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારમાં ભારે હિમવર્ષાની સ્થિતિ સર્જાઇ હતી તથા તે દિશા તરફથી ગુજરાત ઉપર પવન આવી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજના દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ૪૫થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાયું છે. જેને કારણે ઝડપી ગતિએ પવનો ફુંકાશે તેથી સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય ઉપર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા તાજેતરમાં જ વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થતા તેની અસરને કારણે આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો આવશે એટલે કે ગરમીથી રાહત મળવાની પૂરતી સંભાવના છે. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ઝડપી ગતિએ પવન ફૂંકાવાની પણ શક્્યતાઓ છે.
જેથી ગરમીથી રાહત મળશે. આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન ૩૪થી ૩૫ ડિગ્રી સેલ્સીયસ તથા લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.