આગામી ૨૮ ઓક્ટોબરના રોજવડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈનના ઉદ્‌ઘાટન પ્રસંગે હાજરી આપવાના છે. જેને લઈને વડોદરા શહેરમાં તડામાડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન જે રૂટ ઉપરથી પસાર થવાના છે. તે સમગ્ર રૂટ ઉપર રોડ કાર્પેટિંગ, બ્રિજ ઉપર રંગરોગાન, રોડની બંને બાજુ ફૂટપાથની કામગીરી ચાલતી જોવા મળી રહી છે. વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ ઉપરથી વડાપ્રધાન મોદીની નજરથી ઝૂંપડપટ્ટી અને ગંદકી છુપાવવા આડશ મૂકીને મોટા મોટા પતરા મારવામાં આવી રહ્યા છે.
“પડદે કે પીછે ક્યાં હૈ” એ સ્થિત કાંઈક અલગ જ છેઃ પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને હાલ વડોદરા શહેરના વિવિધ જગ્યાએ કલરકામ થઈ રહ્યું છે. વડાપ્રધાન જે રૂટ ઉપરથી પસાર થવાના છે. એવા અમિતનગર બ્રિજને પણ રંગવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બ્રિજ ઉપર પેઇન્ટીગ્સ પણ દોરવામાં આવી રહ્યા છે અને રૂટ ઉપરની દિવાલો ઉપર પણ painting બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી ૨૦ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોદી જે રૂટ ઉપરથી પસાર થવાના છે. તે રૂટ ઉપર પેચવર્ક, ભુવાઓનું પૂરાણ, ફૂટપાથનું રિપેરિંગ અને તૂટેલા ડિવાઈડરનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ એ સાથે જ મોદી સાહેબની નજરમાં શહેરની ગંદકી ન આવે તે માટે વરસાદી કાંસને આડસ કરીને ઢાંકવામાં આવી રહી છે.
રસ્તામાં વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ ન થાય તે માટે ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટથી વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ જવાના રોડ ઉપર સાંઇદીપ નગર સોસાયટી પાસે મોટા મોટા પતરાના શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં રોડની બાજુમાં ઝુપડપટ્ટી અને ખૂબ જ ગંદકી છે. જેને વડાપ્રધાનથી છુપાવવા માટે આ શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં બંને બાજુ ફૂટપાથની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના હસ્તે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એસેમ્બ્લી લાઇનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ન્યૂ આઈપી રોડ ઉપર વૈકુંઠ નજીક ઊભા કરાયેલા ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટ ખાતે આ કાર્યક્રમ યોજાશે.
વડાપ્રધાનના આગમન અને વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા શહેરને સુશોભિત કરવા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સરકારી ઇમારતો ઉપર લાઇટિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાનના ન્યૂ  રોડથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધીના રૂટને દિવાળીની જેમ રોશનીથી પણ શણગારવામાં આવશે.
ભારત અને સ્પેનના વડાપ્રધાન માટે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ડેલિગેશન તથા સ્પેનના વડાપ્રધાન અને ડેલિગેશન રાજવી પરિવાર સાથે ભોજન કરશે.