જામનગર જિલ્લાના મોડપરના મૂળ રહીશ અશોકભાઈ જેઠાભાઈ ધુવા પાસે આરોપી વિશાલસિંહ ફતુભા જાડેજા તથા તેની સાથે શૈલેન્દ્રસિંહ દિલુભા જાડેજા જયદીપસિંહ કનકસિંહ જાડેજાએ પૈસાની ઉઘરાણી લેવાની થતી હોવાનું જણાવી અને અશોકભાઈ ધુવાને જામનગર ખાતે કારખાને બોલાવીને બેફામ માર મારીને પુત્ર જીગ્નેશની હાજરીમાં પૈસા માંગતા આવવાનું લખાણ ઊભું કરી અને અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.
આરોપીઓ દ્વારા અશોકભાઈને પૈસાનું લખાણ લખાવી અને પિતા પુત્રની રૂપિયા સાડા પાંચ લાખ માંગતા હોવાના લખાણમાં સહી લઈ અને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ વચ્ચે અન્ય આરોપી વિશાલ પરસોત્તમ પ્રાગડા દ્વારા અશોકભાઈને આપવાના થતા રૂપિયા સાડા પાંચ લાખ ન આપતા આ સમગ્ર બાબત અંગે અશોકભાઈએ સ્યુસાઇડ નોટ લખી અને ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે આવીને ગત તારીખ ૧૦-૭-૨૦૨૪ ના રોજ તેમના પત્ની લીલુબેન, પુત્ર જીગ્નેશ તેમજ પુત્રી કિંજલબેન સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
જે અંગે ભાણવડ પોલીસ મથકમાં પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગે તપાસ પૂર્ણ થતા પોલીસે સ્થાનિક કોર્ટમાં ચાર્જસીટ દાખલ કર્યું હતું. ચાર્જસીટ બાદ આરોપી વિશાલ પરસોતમભાઈ પ્રાગડા તથા જયદીપસિંહ કનકસિંહ ઝાલાએ જામીન અરજી કરતાં આ અંગે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા વિરોધ વ્યક્ત કરતી દલીલોને ધ્યાને લઈને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.