દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં ૧૨૦ લોકોનાં મોત થયાં હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના એ સમયે બની જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એરનું વિમાન ૧૭૫ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્લેન રનવે પરથી ઉતરીને દૂર સુધી સરકતું જોવા મળે છે અને પછી ફેન્સીંગ સાથે અથડાય છે. ટક્કર બાદ પ્લેનમાં જોરદાર વિસ્ફોટ થાય છે અને તેના પાંખિયા તૂટી જાય છે. ટક્કર બાદ તરત જ પ્લેનમાં આગ ભભૂકી ઉઠે છે. પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. સાઉથ-વેસ્ટ કોસ્ટ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે ૯ઃ૦૭ વાગ્યે આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે.
રિપોર્ટ્‌સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. જેજુ એરના સીઇઓએ દક્ષિણ કોરિયામાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બદલ માફી માંગી છે. આ માફી કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી છે. જેજુ એરના સીઇઓ કિમ ઇ-બેએ મુઆન એરપોર્ટ પર થયેલા અકસ્માત માટે માફી માંગી છે. તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અમે સંબંધિત સરકારી એજન્સીના તપાસ રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ.
સીઈઓએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી કિમ ઈ-બેએ માફી પત્રમાં લખ્યું છે કે ‘સૌ પ્રથમ, અમે જેજુ એર પર વિશ્વાસ કરતા તમામ લોકોની માફી માંગીએ છીએ. ૨૯ ડિસેમ્બરે, લગભગ સવારે ૯ઃ૦૩ વાગ્યે, બેંગકોકથી મુઆન જતી ફ્લાઈટ ૭સી૨૨૧૬ માં મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે આગ લાગી હતી. અમે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને માફી માંગીએ છીએ. અકસ્માતનું કારણ હજુ અસ્પષ્ટ છે અને અમારે તપાસ રિપોર્ટની રાહ જોવી પડશે. કારણ ગમે તે હોય, સીઇઓ તરીકે હું આ ઘટના માટે ઊંડી જવાબદારી અનુભવું છું. જેજુ એર આ દુર્ઘટનાને તાત્કાલિક સંભાળવા અને વિમાનમાં સવાર લોકોના પરિવારોને ટેકો આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. અમે સરકાર સાથે મળીને અકસ્માતનું કારણ શોધવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. ફરી એકવાર, અમે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી માફી માંગીએ છીએ.
પોલીસ અને ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાકીના મુસાફરોના બચવાની ઘણી ઓછી આશા છે. વિમાન બેંગકોકથી ૧૭૫ મુસાફરો અને છ ક્રૂ સભ્યોને લઈને પરત ફરી રહ્યું હતું. મોટાભાગના મુસાફરો દક્ષિણ કોરિયાના નાગરિકો હતા.
અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયાના દિવસો બાદ દક્ષિણ કોરિયામાં આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૬૭ લોકોમાંથી ૩૮ લોકોના મોત થયા હતા. અઝરબૈજાનની પ્રાથમિક તપાસ સૂચવે છે કે રશિયન એર ડિફેન્સે ભૂલથી પ્લેનને તોડી પાડ્યું હતું. આ દરમિયાન શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ અઝરબૈજાનના નેતાની માફી માંગી હતી.
મળતી માહિતી મુજબ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં બે લોકો બચી ગયા છે. ઇમરજન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પ્લેન સાથે પક્ષી અથડાવાને કારણે આ દુર્ઘટના બની હતી. જેના કારણે લેન્ડીંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી.
દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરી માટે તમામ સંભવિત પગલાં લેવાનો આદેશ આપ્યો છે. તેમના ચીફ ઓફ સ્ટાફે પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે.
અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયાના દિવસો બાદ આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૬૭ લોકોમાંથી ૩૮ લોકોના મોત થયા હતા.જે૨-૮૨૪૩, બાકુથી ચેચનની રાજધાની ગ્રોઝની માટે ઉડાન ભરીને, દક્ષિણ રશિયાથી ડાઇવર્ટ થયા બાદ બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયું હતું. અકસ્માત પહેલા મુસાફરો દ્વારા લેવામાં આવેલા ફૂટેજમાં લોકો લાઈફ જેકેટ પહેરેલા દેખાતા હતા. બાદમાં વિડિયોમાં લોહીથી લથપથ અને ઘાયલ મુસાફરો કાટમાળમાંથી બહાર નીકળતા દેખાય છે. અકસ્માતમાં ૨૯ લોકોનો આબાદ બચાવ થયો હતો. અઝરબૈજાનની પ્રાથમિક તપાસ સૂચવે છે કે રશિયન એર ડિફેન્સે ભૂલથી પ્લેનને તોડી પાડ્યું હતું. આ દરમિયાન શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ અઝરબૈજાનના નેતાની માફી માંગી હતી.