ગુજરાતથી પ્રયાગરાજ માટે વધુ બસ દોડાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મહાકુંભ માટે રાજ્ય સરકાર વધુ ૫ બસ દોડાવશે. ૪ ફેબ્રુઆરીથી વધુ ૫ બસ પ્રયાગરાજ માટે દોડાવાશે. જેમાં સુરતથી ૨, અમદાવાદ, વડોદરા, રાજકોટથી ૧-૧ બસ રહેશે. આજે સાંજના ૫ વાગ્યાથી ટિકિટ બુકિંગ કરી શકાશે. એસટી નિગમની વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાશે. અમદાવાદથી ૭,૮૦૦ રૂપિયાનું પેકેજ,સુરતથી ૮,૩૦૦ રૂપિયાનું પેકેજ,વડોદરાથી ૮,૨૦૦ રૂપિયાનું પેકેજ,રાજકોટથી ૮,૮૦૦ રૂપિયાનું પેકેજ
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. તાઃ ૦૪/૦૨/૨૦૨૫ થી નવી ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે. સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામા આવનાર છે. તો અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે કરવામા આવનાર છે.
નવી તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવ્યું છે. આ નવી બસ નુંઓનલાઇન બુકિંગ આજ તાઃ ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૫ કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ પરથી થઇ શકશે.
પ્રયાગરાજમાં મહાકુંભનો આજે ૨૧મો દિવસ છે. વહેલી સવારથી ભક્તોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યાં છે. આજે ૮ વાગ્યા સુધી ૪૧.૯૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં ૩૩.૬૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. આજે વસંત પંચમીના અવસર પર ત્રીજા અમૃત સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે. મહત્વનું છે કે, મૌની અમાસના દિવસે મહાકુંભમાં થયેલી દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ મોડમાં છે. તમામ સ્થળોએ બેરિકેટીંગ કરીને ભક્તોને આગળ વધારવામાં આવી રહ્યાં છે. ભક્તોની ભીડ એક સ્થળે ભેગી ન થાય તે માટેની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. અવર-જવર માટેની અલગ અલગ વ્યવસ્થા કરીને પોલીસ અને પેરામિલિટ્રીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં સંગમઘાટ પર નિરીક્ષણ કર્યું હતું. પહેલાં હેલિકોપ્ટરથી અને બાદમાં સંગમઘટની મુલાકાત લઈને તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થા માટે નિર્દેશ કર્યા.